ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર કેટલાક લોકોના મોતને ભેટવાના પણ સમાચાર સામે આવે છે. ત્યારે હાલમાં ખેડાના કઠલાલ-સોનપુરા હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ખબર સામે આવી છે.
જેમાં બે લોકોના મૃત્યુ થયા અને 5 લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલ ડમ્પરે ઈનોવા કારને ટક્કર મારી હતી અને કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. ત્યારે આ અકસ્માતને પગલે કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકો રમતગમત સાથે સંકળાયેલા હોવાનું અને ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. આ સિવાય એવું પણ સામે આવ્યુ છે કે મૃતકો ઉજ્જૈન દર્શન કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન જ અકસ્માત નડ્યો અને બે લોકો મોતને ભેટ્યા હતા.
રવિવારે વહેલી સવારે ખેડાના કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનપુરા પાસે નંબર વગરના ડમ્પરે ઇનોવા કારને ટક્કર મારી હતી. ડમ્પર ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવી રહ્યો હતો અને તેણે અમદાવાદ તરફ જઈ રહેલ ઈનોવા કારને ટક્કર મારતા કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા અને કારમાં સવાર 7 લોકોમાંથી વિનોદ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બીજા 5ને ગંભીર ઈજાને પગલે સારવાર માટે ખસેડાયા હતા.
મૃતક અને ઈજાગ્રસ્ત યુવાનો રાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે નામના ધરાવતા હોવાનુ સામે આવ્યું છે. આ મામલે કઠલાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિનોદ ચૌહાણ ઊંચીકુદ અને ગજાનંદ ઉપાધ્યાય ભાલાફેંકમાં રાષ્ટ્રીય કક્ષાએ સારુ એવું નામ ધરાવતા હતા. આ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે, તેમાં હનુમાનસિંગ રાજપૂત (બાસ્કેટબોલમાં), ઉમેદસિંહ રાજપૂત (એથ્લેટીક્સમાં), મધુકુમાર રાજપૂત (ભાલાફેકમાં) રાષ્ટ્રીય કક્ષા પર રમત રમીને મેડલ લાવ્યા છે.